
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
*અંબાજી દર્શન કરવા આવતા દર્શનાર્થીઓની પાંખી હાજરી.
*એકલ દોકલ દર્શનાર્થીઓ કરી રહ્યા છે દર્શન.
*બંદોબસ્તમાં તૈનાત પોલીસ શોભાના ગાંઠિયા સમાન.
*પોલીસકર્મીઓ ને પોતાના પૈસે કરવું પડી રહ્યું છે ભોજન.
*દર્શનાર્થીઓ કરતા પોલીસની સંખ્યા વધારે.
*પગપાળા યાત્રીઓની સુવિધા માટે ખાણીપિણીના બુથની કોઈ વ્યવ્યસ્થા નથી.
*સરકારની કોરોના ગાઇડલાઇન્સના પગલે દર્શનાર્થીઓ નિરાશ.
*સરકાર કે પોલીસ તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓ માંથી આવેલા બંદોબસ્ત પોલીસકર્મીઓ માટે ચા, પાણી નાસ્તાની કોઈ સુવિધા નથી.
*અંબાજી અને દાંતા પોલીસ બંદોબસ્તમાં ગોઠવાયેલ પોલીસ પાસેથી ભોજન માટે અઠવાડિયાના 550 રૂપિયા ઉઘરાવે છે.
- 3 dysp ની જગ્યાએ 10 અને 5 pi ની જગ્યાએ 20 તથા જ્યાં 5 psi હોવા જોઈએ ત્યાં 30 psi તૈનાત કરાયા.
દર વર્ષે બનાસકાંઠાના પવિત્ર યાત્રા ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શન કરવા દર્શનાર્થીઓ અને પગપાળા યાત્રા કરી આવતા માઈ ભક્તો લગભગ દસ થી પંદર લાખ લોકો દર્શન કરવા આવતા હોય છે. જેના લીધે સરકાર તથા પોલીસતંત્ર માટે નાગરિકોની સુરક્ષા મહત્વ બની જાય છે. આટલી મોટી સંખ્યામાં આવતા માઈ ભક્તોની હાજરીના લીધે પોલીસતંત્ર દ્વારા પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવી તેમને સુરક્ષા પુરી પાડવામાં આવતી હોય છે. અંબાજી ધામમાં ભાદરવી પૂનમના દિવસે દર્શનાર્થીઓના આટલા મોટા ઘસારાના લીધે પોલીસતંત્ર સાવધ બની પ્રજાના જાન માલની સુરક્ષા કરતી નજરે પડે છે . જેથી કોઈપણ નાગરિક કે દર્શનાર્થીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી અને સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસના માથે હોય છે.અને ગુજરાત પોલીસ તેની જવાબદારી દર વર્ષે બખૂબી નિભાવે પણ છે. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે તમામ યાત્રાધામ મંદિર મસ્જિદોને બંધ કરી દેવાયા હતા. જેથી કરીને કોરોનાનું સંક્રમણ ફેલાવતા અટકાવી શકાય. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા તમામ સુપ્રસિદ્ધ મંદિરો અને યાત્રાધામોમાં દર્શનાર્થીઓને મંદિરમાં દર્શન કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. પરંતુ થોડા સમયથી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતાં એકવાર ફરીથી મંદિરોમાં દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાનાં આદેશ સાથે મંજૂરી આપવામાં આવી છે.આ વખતે અંબાજીના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં દર્શનાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. કારણકે લોકોમાં કોરોના ફેલાવી જવાનો ડર તેમજ, પગપાળા યાત્રીઓ માટે જે સેવાભાવી દાતાઓ દ્વારા જે ખાણીપિણીના કેન્દ્રો, બુથ, ટેન્ટ કે જ્યાં દર્શનાર્થીઓને ચા, પાણી, અને ભોજનની વ્યવ્યસ્થા આપવામાં આવતી હતી, તેવી કોઈપણ પ્રકારની વ્યવ્યસ્થા આ વખતે જોવા નથી મળી રહી. જેના લીધે માઁ અંબાજીના દર્શન અર્થે આવતા માઈ ભક્તોની હાજરી નહિવત દેખાઈ રહી છે.
બીજીતરફ રાજ્યસરકાર અને પોલીસતંત્ર દ્વારા દર વખતની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળામાં દર્શનાર્થીઓની સુરક્ષા માટે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓની પોલીસનો મોટો કાફલો બંદોબસ્તમાં ગોઠવી દીધો છે. પરંતુ વિશ્વસનીય સૂત્રો દ્વારા મળી રહી માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે, અંબાજી ખાતે બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસની હાલત ખુબજ કફોડી બની છે. હજારોની સંખ્યામાં તૈનાત પોલીસકર્મીઓને રહેવા ખાવા પીવાની સુવિધા નથી મળી રહી, જેના લીધે પોલીસકર્મીઓને ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેમાં ખાસ કરીને પોલીસકર્મીઓને સરકારી કોઈ સુવિધા મળી રહી નથી

- . એટલુંજ નહી પણ સૂત્રો જણાવી રહ્યા છે કે, બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીઓને ભોજન માટે પણ અઠવાડિયાના સાડા પાંચસો રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. જેમાં ભોજન પણ સારી ગુણવત્તા વાળું નથી મળતું. તેમજ તેમને પાણી તથા ચા પણ પોતાના પૈસે પીવાની ફરજ પડી રહી છે. જે બાબત ખુબજ ગંભીર છે. અને આવી હેરાનગતિના લીધે વિવિધ જિલ્લાઓ માંથી બંદોબસ્તમાં આવેલ પોલીસકર્મીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમ છતાં પોતાની આપવીતી તે કોને કહી જણાવે, કારણ કે, નોકરીનો સવાલ છે. જેથી પોલીસકર્મીઓ મૂંગે મોઢે બધું સહન કરવા મજબુર બની ગયા છે. બીજીતરફ સૂત્રો જણાવી રહ્યા છે કે,અંબાજી અને દાંતા પોલીસ દ્વારા બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીઓ પાસેથી ભોજનની વ્યવ્યસ્થા કરી આપવા માટે અઠવાડિયાના 550 રૂપિયા લેખે ઉઘરાવી રહ્યા છે. જેની કોઈ પાવતી કે બિલની કોઈ રશીદ આપવામાં આવતી નથી. તેમ છતાં મજબૂરી વશ પોલીસકર્મીઓ પૈસા આપવા માટે વિવશ બન્યા છે. તો અન્ય મળતી એક માહિતી મુજબ યાત્રિકોનો ઘસારો નહિવત છે, તેમ છતાં જરૂર કરતા વધારે પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યાં 3 dysp મુકવા જોઈએ ત્યાં 10 dysp મુકાયા છે તથા 5 pi ની જગ્યા એ 20 જેટલા pi મુકાયા છે. એવીજ રીતે જ્યાં 5 psi થી કામ ચલાવી શકાય એવી જગ્યાએ 30 થી વધુ psi અધિકારીઓને મૂકી દેવાયા છે.
અંબાજી ખાતેના સ્થાનિક સૂત્રો પ્રમાણે વાત કરીયે તો હાલની પરિસ્થિતિમાં દર્શનાર્થીઓની સુરક્ષામાં તૈનાત પોલીસ પાસે વ્યવ્યસ્થા માટે કોઈ કામજ નથી. પોલીસ માત્ર શોભાના ગાંઠિયા સમાન રોડ રસ્તાઓ ઉપર ગરમી અને વરસાદમાં બંદોબસ્તમાં બેઠી છે. પરંતુ ખરેખર આ વખતે અંબાજી ખાતે ભાદરવી પૂનમમાં દર્શન કરવા આવતા માઈ ભક્તોની હાજરી એકલ દોકલ જોવા મળી રહી છે. જેથી કહી શકાય કે દર્શનાર્થીઓ કરતા અંબાજીમાં પોલીસની હાજરી વધારે દેખાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર અને ગુજરાત પોલીસતંત્ર દ્વારા અંબાજી સુપ્રસિદ્ધ ધામમાં ભાદરવી પૂનમમાં આવતા શ્રધ્ધાળુઓની સુરક્ષામાં તૈનાત કરાયેલા પોલીસકર્મીઓને ખુબજ કડવો અનુભવ થયો છે. જેમાં ભોજન, ચા, નાસ્તા,પાણી અને રહેવાની વ્યવ્યસ્થાના અભાવે વિવિધ જિલ્લાઓ માંથી આવેલા પોલીસકર્મીઓની હાલત ખુબજ કફોડી બની છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0