
બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યારસુધી 35થી વધુ લોકોના મોત
કોઈ અનિચ્છનીય ઘટના ફરી ન બને તે માટે જુના નાવડા ગ્રામ પંચાયતે લીધો મહત્વનો નિર્ણય
ગામમાં જો કોઈ દારૂનું વેચાણ કરતાં કે સેવન કરતાં જણાશે તો પોલીસ ફરિયાદ કરાશે
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં કથિત લઠ્ઠાકાંડને કારણે 35થી વધુ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે આ બનાવને ધ્યાને રાખીને હવે બરવાળાના જુના નાવડા ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.તાજેતરમાં બરવાળા તાલુકાના કેટલાંક ગામના લોકોએ કેમિકલ કાંડમાં જીવ ગુમાવતા અનેક પરિવારો નોંધારા બન્યા છે. જેને પગલે હવે આવી ઘટના ન બને તે માટે જુના નાવડા ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે બરવાળાના જુના નાવડા ગામમાં કોઈ પણ ગ્રામજન દારૂનું વેચાણ કે દારૂનું સેવન કરશે તો તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે.
મહત્વનું છે કે ટેક્નોલોજીના આ જમાનામાં આ નિર્ણયની જાણ કરવા માટે જુના નાવડા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં સાદ પડાવવામાં આવ્યો હતો. જેમાં ઢંઢેરો પીટતા જણાવાયું હતું કે, કોઈ પણ વેપારીએ ગામમાં દારૂનું વેચાણ કરવું નહીં. અને જે દારૂના બંધાણી હોય તેમને દારૂ પીવો નહીં. કોઈ પણ વ્યક્તિ દારૂનું વેચાણ કરતાં કે દારૂ પિતા પકડાશે તો કાયદેસર પોલીસ કેસ કરવામાં આવશે.
બરવાળા જુના નાવડા ગામમાં સાદ પાંડતા વ્યક્તિનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દારૂ બંધીના અમલ માટે ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો વીડિયો હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સૌકોઈ પંચાયતના આ પ્રયાસની સરાહના કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવતા નિર્ણયો અંગે હજી પણ ઢંઢેરો પિટાવવામાં આવતો હોય છે. જેથી કરીને દરેક વ્યક્તિને તેની જાણ થાય. ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે જુના નાવડા ગ્રામ પંચાયતે આ નિર્ણય કર્યો છે. જે અન્ય ગામો માટે પણ ઉદાહરણરૂપ છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0