
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
તમેં એવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં લુખ્ખા તત્વો દ્વારા લોકોને ડરાવી ધમકાવીને તેમની મિલકત પચાવી પાડવાનું કામ કરવામાં આવે છે. આવું જ કંઈક અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બન્યું છે. જેમાં બનાવટી દસ્તાવેજોના આધારે દુકાનના માલિકને જ ડરાવી ધમકાવીને દુકાનનો કબજો લેવાની કોશિશ કરનાર લાકડા ગેંગના મુખ્ય સાગરીત સામે અમરાઈવાડી પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.
પોલીસે આ મામલે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. બનાવટી દસ્તાવેજ કઇ જગ્યાએ અને કોની પાસે બનાવ્યા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ કેસમાં બીજા બે આરોપી ફરાર થઈ ગયા છે. હાલ તે બંને આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, અમરાઈવાડી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓના નામ યોગેશ ગુપ્તા તેમજ શ્રીકાંત ઉર્ફે લાલો છે.
આ બંને આરોપી લાકડા ગેંગ સાથે જોડાયેલ છે. લાકડા ગેંગનો મુખ્ય સાગરીત યોગેશ ગુપ્તા છે. જો કે અમરાઈવાડી પોલીસ દ્વારા આ બંને આરોપીઓની ધરપકડ પહેલાના કોઈ ગુનામાં નહીં પણ હાલમાં જ છેતરપિંડી તેમજ બનાવટી દસ્તાવેજ બનાવવાના ગુનામાં કરી છે. આરોપી યોગેશ ઉર્ફે દાદા ગુપ્તા અમરાઈવાડી વિસ્તારના પિલ્લર નંબર 55ની સામેની બાજુ આવેલી એક દુકાનના મૂળ માલિક સંદિપ ગુપ્તાને બનાવટી દસ્તાવેજોના આધારે ડરાવી દુકાન પર કબ્જો કરવા માંગતો હતો.
નોંધનીય છે કે, પોલીસને આ બાબતની જાણ થતાં તપાસ કરીને ફરિયાદ નોંધી હતી. અને બે આરોપીની આ મામલે ધરપકડ પણ કરી છે. પોલીસે બનાવટી પેપરોની તપાસ કરતા જાણવા મળ્યું કે, 17 જાન્યુઆરીના રોજ આરોપી સંદીપ ગુપ્તાએ અમરાઈવાડી વિસ્તારના પિલ્લર નમ્બર 55ની સામે આવેલ દુકાનના મૂળ માલિક નારાયણ સિંહ ચૌહાણ પાસેથી ખરીદી હતી. અને દુકાનના દસ્તાવેજ જોવાના બહાને તમામ કાગળીયાઓના ફોટા લઈને તેના આધારે બીજા બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
તે બનાવટી દસ્તાવેજોને આગની જ્વાળા નજીક રાખી પેપરને પીળા બનાવીને પેપર જુના છે તેવું બતાવવાનો ડોળ કર્યો હતો. જોકે પોલીસે કરેલ તપાસમા હકીકત કંઈક જુદી જ સામે આવી હતી. તમને જણાવી દઈએ કે, 20 દિવસ પહેલા મૂળ માલિક નારાયણ સિંહને આ આરોપી દ્વારા ડરાવી ધમકાવીને ઝેરોક્ષ પર સહી કરાવી લેવામા આવી હતી. આ ઉપરાંત આરોપીએ પોતાના દસ્તાવેજ સાચા છે તેવો દાવો કરીને કોર્ટ કમિશન લેવા માટે પણ કાર્યવાહી કરી હતી.
ધરપકડ કરાયેલ આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું કે, પોલીસ આ કેસમાં કોઈ કાર્યવાહી ના કરે અને શાંતિથી કબ્જો લઈ લેવાય તે માટે તેણે અમરાઈવાડીના બે પીએસઆઇ વિરુદ્ધ પણ કોર્ટમાં અરજી કરી હતી. જેથી પોલીસ પર આ મામલે દબાણ લાવી શકાય. જોકે પોલીસ દ્વારા આ ગુનામા સંડોવાયેલ બીજા 2 ફરાર આરોપીઓની શોધખોળની કાર્યવાહી હાથ ધરી છે.





Total Users : 24
Total views : 92
Who's Online : 0