
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
સવારે ગાંધીનગર પહોંચ્યા બાદ પોલીસ કમિશનરને સીધા કરાઈ એકેડેમી ખાતે પહોંચવા જણાવાયું હતું : પોલીસ ભવન અંદર કોઇને પ્રવેશની મનાઈ : આ પ્રકરણની તપાસ પર રાજકોટમાં રોજ ફૂટી રહેલા નવા જમીન કૌભાંડની તપાસનો આધાર પોલીસ તથા રાજકીય વર્તુળોમાં જબરી ચર્ચા
રાજકોટ, તા.10
કથિત ‘તોડકાંડ’ને લઈને વિવાદોના વમળમાં ફસાઈ ગયેલી રાજકોટ પોલીસમાં અત્યારે જબરી દોડધામ મચી જવા પામી છે ત્યારે આ આખોયે મામલો હવે ગાંધીનગરથી ‘હેન્ડલ’ થઈ રહ્યો હોવાને કારણે આ મામલામાં જેમના પર આક્ષેપ થયા છે તે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને આજે ગાંધીનગર બોલાવાયા હતા.અને તેઓને કરાઈ પોલીસ એકેડેમી ખાતે જ પૂછપરછ શરુ કરવામાં આવી છે અને તેમની પૂછપરછમાં એડીશનલ ડીજી વિકાસ સહાય કે જે આ તપાસનો દોર સંભાળી રહ્યા છે તેઓએ જ અગ્રવાલને આ તોડ પ્રકરણ અંગે તેનો પક્ષ રજૂ કરવા જણાવાયું છે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ હજુ બે દિવસ પહેલા જ આ તોડકાંડનો ભોગ બનેલ બંધુઓ તથા સાક્ષીના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને તે નિવેદનના આધારે જ પોલીસ કમિશનરને વળતા પ્રશ્ર્નો પૂછાઈ રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં પોલીસ કમિશનર વતી નાણા ઉઘરાવવાનો જેના પર આક્ષેપ છે તે વી.કે. ગઢવીની પૂછપરછ બાદના મળેલા તારણો પણ પોલીસ કમિશનરને ક્રોસ પૂછપરછમાં ઉપયોગી થઇ રહ્યા છે. અગાઉ ડીજી વિકાસ સહાયએ હાલ અમદાવાદ રહેલા પીએસઆઈ સાખરાની પૂછપરછ કરી હતી અને હવે અંતિમ તબક્કામાં એડી. ડીજીપીનો હોદો ભોગવતા રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સામે બેસાડાયા છે.
રાજ્યના આ પ્રકારે ટોચના એડીશનલ ડીજી કક્ષાના અધિકારીની કરાઈ એકેડેમી ખાતે પૂછપરછ થાય તેવી પ્રથમ ઘટના છે. સુત્રોના જણાવ્યા મુજબ આજની પૂછપરછ બાદ એડી. ડીજી વિકાસ સહાય એક સર્વગ્રાહી રિપોર્ટ તૈયાર કરશે અને પોલીસવડા આશિષ ભાટીયાને સુપ્રત કરશે અને આ પ્રકરણમાં પોલીસ કાર્યવાહી થશે કે કેમ તેના પર સૌની નજર છે. દરમિયાન આજે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વી.કે.ગઢવી અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા પીએસઆઈ સાખરાની એડીજીપી વિકાસ સહાય દ્વારા ચાર કલાક સુધી પૂછપરછ કર્યા બાદ આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ ‘ગાંધીનગર દરબાર’માં હાજર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જ્યારથી આ મામલો ઉજાગર થયો છે ત્યારથી લઈ આજ સુધી પોલીસ કમિશનર રાજકોટમાં ઓછા અને ગાંધીનગરમાં વધુ રહે છે. જ્યારે આ લેટરબોમ્બ ફૂટ્યો ત્યારે પણ તેઓ ગાંધીનગરમાં જ હાજર હતા. પોલીસ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારી સામે તોડનો આક્ષેપ થતાં તેઓ પણ પોતાનો પક્ષ રજૂ કરવા માટે ગાંધીનગર દોડી ગયા છે. આ બધાની વચ્ચે તાજેતરમાં પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં પણ તેમણે પોતાની સામે તપાસ ચાલી રહી હોવાને કારણે આ મામલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
હવે આજે જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તેનું પરિણામ શું આવે છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે. રાજકોટમાં આ પ્રકરણ પછી અનેક નવા પ્રકરણો પણ ખુલી રહ્યા છે અને પોલીસ તથા રાજકીય નેતાઓ સામે ખુલ્લેઆમ આક્ષેપો થઇ રહ્યા છે તે સમયે જો આ તપાસમાં કમિશનર કે પોલીસ અધિકારીઓ દોષિત ઠરે તો અન્ય પ્રકરણમાં પણ તપાસ આવી શકે છે અને તેનો રેલો સીધો રાજકીય નેતા સુધી જઇ શકે છે અને તે સમગ્ર ગુજરાતને હચમચાવશે તે નિશ્ચીત છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0