
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
અદાલતોમાં હજુ પ્રત્યક્ષ સુનાવણી નહીં થાય: આગામી ઓર્ડર સુધી હાઇકોર્ટે એસઓપીના નિયમો લંબાવ્યા છે. જ્યાં 100થી ઓછા કોરોના કેસ છે તેવા તાલુકાની કોર્ટોમાં શરતોને આધીન પ્રત્યક્ષ સુનાવણી થઈ શકશે. અગાઉની એસઓપી મુજબ રાજકોટ જિલ્લાની જામકંડોરણા, ભાયાવદર, જસદણ, કોટડા સાંગણી, લોધિકા, પડધરી, વિંછીયા એમ 7 તાલુકા કોર્ટો શરતો સાથે શરૂ થઈ હતી જોકે હવે પડધરી, વિંછીયા અને કોટડા સાંગણીની કોર્ટમાં જ ફિઝિકલ કાર્યવાહી થઈ શકશે.
હાઇકોર્ટની જે અગાઉની એસઓપી જાહેર થયેલી જેમાં જણાવાયું હતું કે, તમામ જિલ્લાઓમાં દરરોજ મોટી સંખ્યામાં કોવિડ-19 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, તે હકીકતને ધ્યાનમાં રાખીને, તારીખ 07.01.2022 ના પરિપત્ર દ્વારા, જિલ્લા અને ટ્રાયલ કોર્ટની કામગીરીને પ્રતિબંધિત કરવામાં આવી હતી અને તારીખ 07.01.2022 ના રોજ પરિપત્ર આવ્યો હતો. જેમાં આદેશ આપવામાં આવ્યો હતો કે તમામ જિલ્લા અને તાલુકા અદાલતો વર્ચ્યુઅલ મોડમાં એટલે કે માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ કાર્ય કરશે.
ત્યારબાદ ગુજરાત સ્ટેટ બાર કાઉન્સિલ અને વિવિધ તાલુકા બાર એસોસિએશનો તરફથી મળેલી વિનંતીઓના પ્રકાશમાં, જિલ્લા અને તાલુકા કોર્ટના કામકાજ પર દેખરેખ રાખવા માટે રચાયેલી SOP કમિટીની બેઠક તા.18.01.2022 ના રોજ મુખ્ય ન્યાયાધીશ દ્વારા બોલાવવામાં આવી હતી, જેમાં અધિકારીઓએ હાજરી આપી હતી. ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલ ટાસ્ક ફોર્સના સભ્યો સહિત અધિક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ ડો. મનોજ અગ્રવાલ, આરોગ્ય વિભાગના સચિવ અને કમિશનર ડો. જયપ્રકાશ શિવહરે સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
સમિતિએ અમુક જિલ્લાઓ જ્યાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ 100 કરતા ઓછા છે ત્યાં પ્રતિબંધો અને શરતોને આધીન ટ્રાયલ કોર્ટની મર્યાદિત ફિઝિકલ કામગીરી શરૂ કરવાનો ઠરાવ કર્યો હતો. આ ઠરાવ સાથે કોરોનાની ત્રીજી લહેર દરમિયાન રાજ્યના જે જિલ્લા અને તાલુકામાં 100 થી ઓછા કેસ છે, ત્યાંની કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે નવી માર્ગદર્શિકા બહાર પડાઈ હતી. જે મુજબ, કડક પ્રતિબંધો સાથે આ નીચલી અદાલતોમાં 24 જાન્યુઆરી સોમવારથી જ ફિઝિકલ સુનાવણી શરૂ કરાઈ હતી. ગઈકાલે હાઇકોર્ટે ફરી એસઓપીને લંબાવવાનો નિર્ણય કર્યો હતો. જેથી આગામી આદેશ સુધી આ એસઓપી અમલી રહેશે. અન્ય શરતો પણ યથાવત રખાઈ છે.





Total Users : 24
Total views : 92
Who's Online : 0