
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
રાજ્યમાં દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે. દારૂબંધીના કાયદાના કારણે રાજ્યમાં દારૂનું વેચાણ કરવું અને દારૂ પીવો તે એક ગુનો છે. તો ગુજરાત પોલીસના હાથે લાખો રૂપિયાના દારૂના મુદ્દામાલની સાથે બુટલેગરોની ધરપકડ કરવામાં આવી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તો રાજ્યમાં ક્યારેક નકલી દારુ બનાવવામાં આવતો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
ત્યારે આણંદના વિદ્યાનગરમાં બનાવટી વિદેશી દારુ બનાવતા એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે. તેના ઘરમાંથી દારુની ખાલી બોટલો અને કેમિકલની બોટલો પણ મળી આવી છે.
રિપોર્ટ અનુસાર, વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ તેના ઘરમાં દારુ બનાવી રહ્યો છે. તેથી પોલીસ દ્વારા કરમસદ-પાળિયા સીમ વિસ્તારની નહેર પાસે એક વ્યક્તિના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે આ વ્યક્તિના ઘરે દરોડો પાડ્યો હતો તે સમયે ઘરમાંથી કેટલીક કેમિકલ્સ અને દારુની બોટલો મળી આવી હતી. આ કેમિકલમાં કલર, એસેન્સ, સ્પીરીટ સહિતનો વસ્તુનો સમાવેશ થતો હતો. નકલી દારુની બનાવટ કરનાર ઇસમનું નામ કનુ તળપદા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત, તેના ઘરની બાજુમાંથી સ્પીરીટ ભરેલો કેરબો મળી આવ્યો હતો. તેથી પોલીસે કનુના ઘરમાંથી 2940 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કનુની અટકાયત કરી લીધી હતી. કનુની અટકાયત કર્યા બાદ વિદ્યાનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે, આ ઇસમ ક્યાંથી આ તમામ સામાન લાવતો હતો. કેટલા લોકોને દારુનું વેચાણ કરતો હતો અને કેટલા સમયથી આ પ્રકારનું કામ કરતો હતો.
મહત્ત્વની વાત છે કે, આણંદમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા બુટલેગરો પર કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. તો કેટલાક બુટલેગરો પણ આ પ્રકારે કેમિકલમાંથી દારુ બનાવતા હોવાનું સામે આવ્યું હતું. પણ કેમિકલથી બનતો વિદેશી દારૂ વ્યક્તિના આરોગ્ય માટે પણ ખૂબ જોખમકારક છે. તેથી આવા તત્ત્વો સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવી પ્રવૃત્તિથી લઠ્ઠાકાંડનો પણ ભય ઊભો થાય છે. આ ઘટનામાં હાલ તો પોલીસે નકલી દારુ બનાવનાર કનુ તળપદાની ધરપકડ કરીને તેની પૂછપરછની તજવીજ હાથ ધરવામાં આવી છે.





Total Users : 25
Total views : 93
Who's Online : 0