
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ )
જૂનાગઢ:ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર આજે એક હૃદયદ્રાવક અને વહીવટી નિષ્ફળતાની ચરમસીમા સમાન ઘટનાનું સાક્ષી બન્યું છે. વહેલી સવારે અંબાજીના દર્શનાર્થે નીકળેલા મહેમદાવાદના ૧૧ વર્ષના માસૂમ મયુરસિંહ ચૌહાણને ગિરનારના શરૂઆતના પગથિયાં પરથી જ સિંહ ઉપાડી ગયો. આ ઘટના માત્ર વન્યજીવનો હુમલો નથી, પરંતુ વન વિભાગ અને ગિરનાર મંદિર સુરક્ષા તંત્રની ગુનાહિત બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. લાખો દર્શનાર્થીઓની સુરક્ષા રામભરોસે છોડી દેનારા કસૂરવારો સામે હવે કાનૂની ગાળિયો કસાવા માટે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.
📌 કાનૂની સવાલ: સુરક્ષા તંત્ર સામે ફોજદારી ગુનાની આશંકા કેમ નહીં?ગિરનાર પર્વત એ કોઈ નિર્જન અરણ્ય નથી, પરંતુ ૨૪ કલાક શ્રદ્ધાળુઓથી ધમધમતું ધાર્મિક સ્થળ છે. અહીં સિંહ સીડીઓ સુધી મુક્તપણે પહોંચી જાય તે વન વિભાગના મોનિટરિંગ અને વન્યજીવ વ્યવસ્થાપનની લાપરવાહી છતી કરે છે.
બેદરકારીથી થયેલું મૃત્યુ (IPC / BNS હેઠળ ગુનો):
કાયદાની પરિભાષામાં કહીએ તો, સુરક્ષા સુનિશ્ચિત કરવાની જે તંત્રની કાનૂની અને નૈતિક ફરજ હતી, તેમની નિષ્ક્રિયતાને કારણે આ ઘટના બની છે. જો યાત્રિકો પાસેથી સુવિધાઓ અને સુરક્ષાના નામે ટેક્સ કે વ્યવસ્થાના દાવા થતા હોય, તો આ પ્રકારની જીવલેણ ચૂક બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કેમ ન થવી જોઈએ?
સુરક્ષા એજન્સીઓની ઘોર નિષ્ફળતા:-
ગિરનાર મંદિર અને પંથકની સુરક્ષા માટે તૈનાત સિક્યુરિટી એજન્સીઓ આખરે વહેલી સવારે કયા નશામાં ચૂર હતી? જ્યારે કોઈ વીઆઈપી મૂવમેન્ટ હોય ત્યારે ખડેપગે રહેતું તંત્ર, સામાન્ય પ્રજા અને માસૂમ બાળકોના જીવના રક્ષણ વખતે ક્યાં ગાયબ થઈ જાય છે?
⚠️ જવાબદારી કોની? તીખા સવાલોના કટઘરામાં તંત્ર:-
1.વન વિભાગની નિષ્ક્રિયતા:-
ગીર અને ગિરનાર સરહદી વિસ્તારોમાં માનવ-વન્યજીવ સંઘર્ષ (Human-Wildlife Conflict) રોજની ઘટના બની ગઈ છે. વારંવારની ચેતવણીઓ છતાં પગથિયાં પર વાડ (Fencing), લાઈટિંગ અથવા થર્મલ કેમેરા જેવી આધુનિક સુરક્ષા પ્રણાલી કેમ ગોઠવવામાં આવી નથી?
2.સિક્યુરિટી મેનેજમેન્ટનો ફિયાસ્કો:-
ગિરનારના પ્રવેશદ્વાર અને શરૂઆતના પગથિયાં પર ૨૪ કલાક સઘન પેટ્રોલિંગ કેમ નહોતું? વહેલી સવારે જ્યારે સિંહોની અવરજવર વધુ હોય છે, ત્યારે પ્રવાસીઓને એલર્ટ કરવા માટે કોઈ વોચટાવર કે સ્પીકર સિસ્ટમ કેમ કાર્યરત નહોતી?
🔥 જનઆક્રોશ: હવે માત્ર આશ્વાસન નહીં, કસૂરવારો સામે એક્શન જોઈએ!-
આ ઘટનાએ સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં ભય સાથે ભારે આક્રોશ જન્માવ્યો છે.
વન વિભાગ માત્ર ‘સર્ચ ઓપરેશન’ના નામે કાગળ પર ઘોડા દોડાવવાને બદલે પોતાની આંતરિક નબળાઈઓ સ્વીકારે:-
વહીવટી તંત્રની આ આળસ અને સિક્યુરિટીની લાપરવાહી સામે ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ (Judicial Inquiry) થવી અનિવાર્ય છે. પ્રજા પૂછી રહી છે કે, જો ગિરનાર જેવા પવિત્ર ધામમાં દર્શનાર્થી સુરક્ષિત નથી, તો ગુજરાતના પર્યટન અને સુરક્ષાના મોટા-મોટા દાવાઓ આખરે કોના માટે છે?
બાળકના પરિવાર પર તૂટી પડેલા આ આભ વચ્ચે હવે જનતા એક જ માંગ કરી રહી છે: આ ઘટનામાં જે પણ અધિકારી કે સુરક્ષાકર્મીની લાપરવાહી સામે આવે, તેમની સામે તાત્કાલિક અસરથી સસ્પેન્શન અને કાનૂની ગુનો નોંધી જેલભેગા કરવામાં આવે.






Total Users : 4439
Total views : 5329
Who's Online : 0