
રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)
ખાસ અહેવાલ, ભરૂચ:
“જો મહેનત અને ઈમાનદારીથી નોકરી કરી હોત, તો આજે પોતાના જ સ્ટાફ સામે અને સમાજ સામે માથું શરમથી ઝૂકાવવાનો વારો ન આવ્યો હોત.” પરંતુ સત્તાના નશા અને રાતોરાત અમીર બની જવાની લાલચે પાનોલી પોલીસ સ્ટેશનના ત્રણ કર્મચારીઓને કાયદાના રક્ષકમાંથી ગુનેગાર બનાવી દીધા છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ પાનોલીના બે હેડ કોન્સ્ટેબલ અને એક લોકરક્ષક કોન્સ્ટેબલને રૂ. ૧,૦૦,૦૦૦/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડીને પોલીસ તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારના નેક્સસનો પર્દાફાશ કર્યો છે.
સત્તાનો દુરુપયોગ: કાયદો રક્ષક કે ભક્ષક?
આજકાલ પોલીસ તંત્રમાં અમુક ભ્રષ્ટ કર્મચારીઓ નિર્દોષ નાગરિકો પાસેથી સત્તાનો દુરુપયોગ કરીને પૈસા પડાવવાનું સાધન સમજી બેઠા છે. આ કિસ્સામાં પણ એવું જ બન્યું. એક જાગૃત નાગરિક પ્રોહિબિશન એક્ટના કેસમાં કાયદેસરની સજા કાપીને જામીન પર બહાર આવ્યો હતો. તેનો પોતાનો જ જપ્ત થયેલો મોબાઈલ ફોન પરત મેળવવા જેવો સામાન્ય અને કાયદેસરનો હક મેળવવા માટે તેણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા.
ત્યાં બેઠેલા ભ્રષ્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધભાઈ ધાધલ અને જયદીપસિંહ પરમારે જાણે મોબાઈલ પર પોતાનો માલિકી હક હોય તેમ રૂ. ૩,૦૦,૦૦૦/- ની મસમોટી લાંચ માંગી લીધી! હદ તો ત્યારે થઈ જ્યારે ફરિયાદીએ લાચારી વ્યક્ત કરી, ત્યારે આ ભ્રષ્ટ બાબુઓએ કોઈ પ્રોફેશનલ ફાઇનાન્સ કંપનીની જેમ લાંચના પણ ‘૧-૧ લાખના ત્રણ હપ્તા’ બાંધી આપ્યા!
હપ્તાખોરીના વહેમમાં ભ્રષ્ટાચારીઓ ભૂલી ગયા ACB ની તાકાત:-
ભ્રષ્ટ કર્મચારીઓ એ ભૂલી ગયા હતા કે પાપનો ઘડો એક દિવસ ચોક્કસ ભરાય છે. ફરિયાદીએ હિંમત દાખવી એ.સી.બી. નો સંપર્ક કર્યો. એ.સી.બી. ના પી.આઈ. એમ.જે. શિંદે અને તેમની ટીમે પાનોલી પોલીસ સ્ટેશનની સામે કન્ટેઈનરમાં ચાલતી “ડી” સ્ટાફની ચેમ્બરમાં જ સકંજો કસ્યો.
આરોપી અનિરુદ્ધભાઈએ લાંચની લાલચમાં ફરિયાદી પાસે વાતચીત કરી રૂપીયા લોકરક્ષક સાગરભાઈ ચાવડાને આપવા ઈશારો કર્યો. જેવો સાગરભાઈએ ૧ લાખનો પ્રથમ હપ્તો હાથમાં લીધો, કે તરત જ છુપાઈને બેઠેલી ACB ની ટીમે તરાપ મારી ત્રણેયને દબોચી લીધા.
વિચારો… આ ૧ લાખ રૂપિયા બદલ શું ગુમાવ્યું?
રૂપિયાના લોભમાં આ પોલીસકર્મીઓ જે ગુમાવી બેઠા છે, તેનો હિસાબ ક્યારેય સરભર નહીં થઈ શકે:
વર્ષોની નોકરી પર પાણી:-
જે ખાખી વર્દી મેળવવા હજારો યુવાનો રાત-દિવસ એક કરે છે, તે વર્દી પળભરમાં ઉતરી ગઈ.
સમાજ અને પરિવારમાં મોઢું બતાવવા જેવું ન રહ્યું:-
ભરૂચથી લઈને તેમના મૂળ વતન રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર સુધી તેમના પરિવારે આજે સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે.
જેલના સળિયા:-
જે પોલીસ સ્ટેશનમાં તેઓ કમાન્ડ આપતા હતા, આજે ત્યાં જ ગુનેગાર બનીને બેસવું પડ્યું છે.
લાંચિયાઓ માટે લાલબત્તી સમાન કિસ્સોપોલીસ વિભાગમાં આવતા આવા કિસ્સાઓ પ્રામાણિક અધિકારીઓનું પણ માથું શરમથી ઝુકાવી દે છે. આ ન્યૂઝ સ્ટોરી એ તમામ લાંચિયાઓ માટે એક કડક ચેતવણી છે જેઓ સામાન્ય જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. કાયદાના હાથ લાંબા છે અને એ.સી.બી. નો ત્રીજો નેત્ર (ટોલ ફ્રી નં. ૧૦૬૪) હંમેશા ખુલ્લો છે. રૂપિયા કમાવવાના લોભમાં પોતાની આખી જિંદગી, આબરૂ અને પરિવારની ગરિમા દાવ પર લગાવતા પહેલાં પાનોલીના આ ત્રણ ભ્રષ્ટ કર્મચારીઓનો અંજામ યાદ કરી લેવો જરૂરી છે.






Total Users : 5441
Total views : 6486
Who's Online : 0