
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ)
અમદાવાદ: એ રૂમનો દરવાજો જ્યારે ખૂલ્યો, ત્યારે માત્ર બે દેહ પંખા પર લટકતા નહોતા, પણ બે પરિવારોના સપનાઓ, ખુશીઓ અને ભવિષ્યની તમામ આશાઓ હંમેશ માટે ફાંસીના માચડે ચડી ચૂકી હતી. મહીસાગરના સંતરામપુરના બે નિર્દોષ બાળકોએ અમદાવાદની એક હોટલમાં પોતાની જીવનલીલા સંકેલી લીધી. આ સમાચાર સાંભળીને આખું ગુજરાત ધ્રૂજી ઊઠ્યું છે. પરંતુ સવાલ એ છે કે, શું આ માત્ર બે આત્મહત્યા છે? કે પછી સમાજની જીદ અને અધૂરા સંવાદે ભેગા મળીને કરેલી હત્યા છે?
કાળજું કંપાવી દેતી એ માતા-પિતાની દશા:-
જે માતા-પિતાએ નવ-નવ મહિના પેટે પાટા બાંધીને સંતાનને જન્મ આપ્યો, આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું અને ભણાવી-ગણાવીને મોટો કર્યો—આજે એ જ માતા-પિતા સામે પોતાના કાળજાના ટુકડાની નશ્વર દેહ પડી છે. એ ઘરના આંગણે જ્યાં શરણાઈઓ વાગવી જોઈતી હતી, ત્યાં આજે આક્રંદ અને માતમનો માહોલ છે.શબ્દોમાં એ દર્દ વર્ણવવું અશક્ય છે જ્યારે એક પિતાએ પોતાના યુવાન દીકરા-દીકરીને કાંધ આપવી પડે છે. આખી જિંદગીની કમાણી એક પળમાં સાફ થઈ ગઈ. હવે આખી જિંદગી એ માતા-પિતાના મનમાં એક જ પસ્તાવો રહી જશે: “કાશ! એકવાર એની ઈચ્છા સાંભળી લીધી હોત… કાશ! એને ગળે લગાવીને પૂછી લીધું હોત.”
⚖️ બંને પક્ષે સમજણની ક્યાં પડી તિરાડ?
આ ઘટના બે પાસાઓ તરફ આપણું ધ્યાન ખેંચે છે, જે આજે દરેક ઘરમાં ચર્ચાવા જરૂરી છે:
1.માતા-પિતા માટે: બાળકોની ઈચ્છા એ કોઈ ગુનો નથી”લોકો શું કહેશે?” નો જીવલેણ ડર:-
સમાજ, જ્ઞાતિ કે ખોટી પ્રતિષ્ઠા ક્યારેય તમારા બાળકના શ્વાસ કરતાં મોટી હોઈ શકે? લોકો બે દિવસ વાતો કરીને ભૂલી જશે, પણ સંતાન વગરનું ઘર આખી જિંદગી કેવી રીતે કાપી શકશે.
જીદ છોડો, દીવાલ નહીં:-
ઘણીવાર પરિવારો પોતાની પરંપરાની જીદમાં એટલા આંધળા થઈ જાય છે કે બાળકોના દિલનો અવાજ સાંભળવાનો જ ઈનકાર કરી દે છે. સંતાનની પસંદગીને સ્વીકારવી એ હાર નથી, પણ પ્રેમની જીત છે.
2.યુવા પેઢી માટે:- આત્મહત્યા એ વિકલ્પ નથીજિંદગી લડવા માટે છે: માતા-પિતાની નારાજગી કે સામાજિક બંધનોથી કંટાળીને આત્મઘાતી પગલું ભરવું એ કાયરતા છે. જો પ્રેમ સાચો હોય, તો સમય આપવો પડે,પરિસ્થિતિ સામે લડવું પડે, મરી જઈને ભાગી ન જવાય.તમારા ગયા પછી એમનું શું? તમે તો દુનિયા છોડી દીધી, પણ તમારી પાછળ તમારા વૃદ્ધ માતા-પિતાને જીવતેજીવ મરવા માટે છોડી ગયા.
.🚨 સમાજ માટે છેલ્લી ચેતવણી: હવે તો જાગો!
.
જ્યાં સુધી ઘરોમાં કડક શાસનની જગ્યાએ ‘મિત્રતાપૂર્ણ સંવાદ’ શરૂ નહીં થાય, ત્યાં સુધી આવા કરુણ અંત આવતા રહેશે.
જ્યારે ઘરના દરવાજા મનની વાત કહેવા માટે બંધ થઈ જાય છે, ત્યારે જ હોટલોના બંધ રૂમમાં આવી ઘટનાઓ બને છે.
સમય આવી ગયો છે કે:દીકરા-દીકરીઓ મોટા થાય ત્યારે તેમની ભાવનાઓને માન આપો.તેમને એટલો ભરોસો આપો કે ભલે ગમે તેવી મુશ્કેલી હોય, “તારો પરિવાર તારી સાથે ઊભો છે.
“સામાજિક બંધનોને એટલા કડક ન બનાવો કે બાળકોના શ્વાસ જ રૂંધાઈ જાય.
યાદ રાખો…ખોટી જીદ અને પ્રતિષ્ઠા જાળવીને પણ જો ઘરમાં સંતાન જ ન બચે, તો એ જીત કશા કામની નથી. આવો, આજે જ આપણા બાળકો સાથે દિલ ખોલીને વાત કરીએ અને તેમને વચન આપીએ કે દુનિયા સામે ભલે લડવું પડે, પણ અમે તારો સાથ ક્યારેય નહીં છોડીએ.







Total Users : 4628
Total views : 5554
Who's Online : 2