
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
કોરોનાના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને ભારતમાં પગ પેસારો કરી દીધો છે. ઓમિક્રોનનો ટ્રાન્સમિશન રેટ ભારતમાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિએન્ટ કરતાં 3 ગણો વધારે છે.
ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટનું સંક્રમણ ફેલાવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે. હાલ રાજ્યમાં સ્કૂલ-કોલેજો પણ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતે સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે.
જે મુજબ કોઈપણ સ્કૂલમાં કે કોલેજમાં કોરોનાનો કેસ નોંધાશે તો તે સ્કૂલ-કોલેજને 14 દિવસ બંધ રાખવામાં આવશે.
મળતી માહિતી મુજબ, સુરતની શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોઝીટીવ આવવાની ઘટના બાદ સ્કુલ અને કોલેજમાં હવે કોઈ કોરોના પોઝીટીવ કેસ આવે તો 14 દિવસ સુધી બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરત મ્યુનિસિપલ કમિશનર બન્છાનિધી પાનીએ જણાવ્યું હતું કે, જે સ્કુલ કે કોલેજમાં કોઈપણ પોઝીટીવ આવશે તેને 14 દિવસ સુધી બંધ કરાવી દેવામાં આવશે. તેમજ કોલેજોમાં બીજો ડોઝ લીધો ન હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહી મળે અને સ્કૂલોના વિદ્યાર્થીઓ પાસે તેમના વાલીઓનું વેક્સિન સર્ટિફિકેટ મંગાવાશે.
મહત્વનું છે કે, સુરત મ્યુનિ. સંચાલિત સ્કુલમાં એક શિક્ષકા પોઝીટીવ આવતાં તેનો આખો પરિવાર પોઝીટીવ આવ્યો છે આ ઉપરાંત થોડા દિવસ પહેલાં અડાજણ વિસ્તારની એક સ્કુલના વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. જેને લઈ તંત્ર હવે વધુ સતર્ક થયું છે.





Total Users : 107
Total views : 206
Who's Online : 0