
DGVCLના અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી
થોડાક જ દિવસોમાં જીવતા બોંબ સમાન ઇલેક્ટ્રિક ડીપીનો મામલો હલ કરાશે
સુરતના અડાજણમાં જીવતા બોમ્બ સમાન ડીપી હટાવવાને લઇ કોંગ્રેસ નેતા છેલ્લા ચારેક મહિનાથી મુહિમ છેડી હતી. આ અંગે ડીજીવીસીએલના અધિકારીઓ અને એસએમસીના અધિકારીઓને અનેક રજૂઆતો કરી હતી. પરંતુ ડીજીવીસીએલના અધિકારીઓ અને એસએમસીના અધિકારીઓ જાણે કે ખો-ખોની રમત રમતા હોય તેમ એકબીજા પર ટોપલો ઢોળતા હતા. છેવટે કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદીએ ના છુટકે જીવતા બોંબ સમાન ડીપી પાસે છે ધરણાં યોજવાની જાહેરાત કરી હતી.જેથી ડીજીવીસીએલના અને એસએમસીના અધિકારીઓએ તેમની વાત ધ્યાન પર લીધી છે અને ઇલેક્ટ્રિક ડીપીનો યોગ્ય નિરાકરણ કરવા હૈયાધારણા આપી છે.
વિગતો એવી છે કે સુરતના અડાજણમાં પટેલ ડેરીની પાસે સુમેરુ રેસીડેન્સીની બાજુમાં સીમંદર કેમ્પસ નજીક ડીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન માટે મહાકાય જીવતા જાગતા બોમ્બ સમાન ડીપી લગાવવામાં આવેલી છે. રહેણાંક વિસ્તારમાં લગાવેલી આ ડીપીને કારણે કોઈપણ મોટી ઘટના બની શકે તેમ હતી. ડીજીવીસીએલની આ ડીપીની પાસે 10 થી 15 જેટલી શાકભાજીની લારીઓ પણ ઉભી રહે છે આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોની અવરજવર પણ હોય છે. આ જાહેર માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો લોકો પસાર થતા હોય છે..
ડીજીવીસીએલની આ બોમ્બ સમાન જીવતી પેટી ને ખસેડવા માટે સ્થાનિક નેતા જીગ્નેશ મોદીએ મુહિમ છેડી હતી. જીગ્નેશ મોદીએ ડીજીવીસીએલની બોમ સમાન આ પેટીને ખસેડવા માટે ડીજીવીસીએલના અધિકારી અને એસએમસીના અધિકારીને રજૂઆત કરી હતી. ડીજીવીસીએલના અધિકારીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીપી અન્ય જગ્યાએ ખસેડવા માટે જગ્યા આપવામાં આવી રહી નથી તેમ કહેતા હતા.
આ અંગ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધર્મેશ મિસ્ત્રીને પણ રજુઆતો કરાઇ હતી પરંતુ ડીજીવીસીએલ અને એસએમસીના અધિકારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળતા હતા.ત્યાં સુધી કે સ્થાનિક લોકો એટલી હદે ગભરાયેલા હતા કે ડીપી ખસેડવાનો ખર્ચ પોતાના માથે લઇ ડીપી ખસેડવાની રજૂઆત કરી હતી તેમ છતા ડીજીવીસીએલ તરફથી કોઇ જ જવાબ મળતો ન હતો.
દરમ્યાનમાં જીવતા બોંબ સમાન ડીપી ખસેડવા છેલ્લા ચારેક મહિનાથી મુહિમ છેડનાર કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદીએ ના છુટકે પાંચેક દિવસ અગાઉ ડીપીની સામે જ ધરણાં કરવાની જાહેરાત કરી હતી.જેથી ડીજીવીસીએલ અને એસએમસીના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને પગ નીચે રેલો આવતા તાત્કાલિક કોંગ્રેસ નેતાનો સંપર્ક કર્યો હતો. ડીજીવીસીએલના અધિકારીઓએ ટુંક સમયમાં ડીપી ખસેડવા માટેનો યોગ્ય હલ કરવાની જીગ્નેશ મોદીને ખાતરી આપી છે.જેથી સાચા અર્થમાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદી લોકોના મસિહા સાબિત થયા છે.અને આગામી દિવસોમાં જીવતા બોંબ સમાન ડીપીના કારણે કોઇ દુર્ધટના ન બને તે માટે લોકોની ફીકર કરી તેમણે શરૂ કરેલી મુહિમ રંગ લાવી છે.





Total Users : 113
Total views : 214
Who's Online : 0