
નવી દિલ્હી તા.19 : દિલ્હીમાં વધુ એકવાર નિર્ભયા કાંડ સર્જાયો છે, જેને લઈને દિલ્હી ફરી એક વખત શરમજનક સ્થિતિમાં મુકાયુ છે. દિલ્હી એનસીઆરમાં સંપતિના વિવાદમાં એક મહિલાનું અપહરણ કરી ગાઝીયાબાદમાં બે દિવસ સુધી તેના પર ગેંગરેપ આચરવામાં આવ્યો હતો, આરોપીઓએ હેવાનિયતની તમામ હદો પાર કરી મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળીયો નાખ્યો હતો, બાદમાં આરોપીઓએ મહિલાને આશ્રમ રોડ પર ફેંકીને ફરાર થઈ ગયા હતા, હાલ મહિલા ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ ચોંકાવનારા બનાવની વધુમાં જાણવા મળતી વિગત મુજબ દિલ્હીની એક મહિલાનું સંપતિના વિવાદમાં અપહરણ કર્યું હતું. આરોપીએ બે દિવસ સુધી મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ હેવાનિયતની તમામ હદો વટાવીને મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળીયો નાખ્યો હતો, ત્યારબાદ પીડિતાને અધમૂઈ હાલતમાં આશ્રમ રોડ પાસે ફેંકીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહિલાને હોસ્પિટલે દાખલ કરાવી હતી. શહેર પોલીસે જણાવ્યું હતું કે મહિલા દિલ્હીના નંદનગરી વિસ્તારની છે
તે નંદગ્રામ ક્ષેત્રમાં તેના ભાઈને ત્યાં આવી હતી. પરત ફરતી વખતે કેટલાક લોકોએ તેને ઉઠાવી લીધી હતી. પુછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે આરોપીઓ મહિલાના પરિચિત જ છે અને બન્ને પક્ષો વચ્ચે સંપતિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ મલીવાલે ગાઝીયાબાદ પોલીસને નોટીસ ફટકારી છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે આ મામલે ચાર લોકોની ધરપકડ કરાઈ છે. આ મામલે એવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે આરોપીઓ બેભાન મહિલાને કોથળાની ગુણમાં નાખીને રોડ પર ફેંકી દેવાઈ હતી.





Total Users : 107
Total views : 206
Who's Online : 0