
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )
સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધારવા માટે વર્ષોથી જામી બેઠેલા પોલીસ કર્મચારીઓને બદલવા સિવાય કોઇ વિકલ્પ ન હોવાનું રાજ્ય સરકારનું તારણ : લોકલ ક્રાઈમ માફિયાઓ સાથેનું ગઠબંધન તોડવાનો આશય : પોલીસ દળનું સતત મોનીટરીંગ થશે
ગુજરાતમાં નવા નેતૃત્વની સરકાર સાથે જે મંત્રીઓ અને અધિકારીઓમાં નો-રિપીટની થિયરી અપનાવાઈ હતી તે સારા પરિણામ લાવી રહી છે અને ખાસ કરીને અગાઉની સરકાર કે અગાઉના અધિકારીઓની જે ફરિયાદ હતી તે હવે ભુલાઇ ગઇ છે અને નવા મંત્રીઓ તથા તેમની સાથે આવેલા નવા અધિકારીઓએ પોતાની નવી સ્ટાઈલથી કામકાજ શરુ કરતા સચિવાલયથી લઇ જિલ્લા કક્ષા સુધીના વહીવટી માળખામાં તેના સારા પડઘા પડતા જ હવે નો-રિપીટ થીયરે હવે માઈક્રો લેવલે લાગુ કરવાની તૈયારી છે અને તેનો પ્રયોગ અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના મોટા શહેરોથી થશે.
સુત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર જે રીતે બઢતી અને બદલીમાં પુરા હોમવર્ક સાથે આગળ વધી રહી છે અને કોઇ ઉતાવળીયા નિર્ણય લેતા નથી તેવી જ પરિસ્થિતિ આ નો-રીપીટ થીયરીમાં અપનાવાઈ છે. ખાસ કરીને રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ દારુ તથા માદક દ્રવ્યોના પદાર્થ સ્થાનિક કક્ષાએ જે લોકલ માફીયાનું વર્ચસ્વ છે તેમાં પોલીસ સાથેનું તેનું ગઠબંધન સ્પષ્ટ નજરે ચડે છે.
સુત્રોના જણાવ્યા મુજબ ટોચના પોલીસ અધિકારીઓને બદલવાથી આ ગઠબંધનથી કોઇ મોટી અસર થતી નથી અને તેથી જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં કોઇ મોટો સુધારો થતો નથી જેના કારણે અધિકારી ગમે તેટલા સક્ષમ હોય પરિણામ મળતા નથી અને આથી રાજ્ય સરકારે રાજ્યના આ મહાનગરોનાં પોલીસ સ્ટેશનોનું માઇક્રો નિરીક્ષણ કરીને તેમનું અલગ અલગ કેટેગરીમાં વિભાજન કર્યું છે અને તેમાં કામગીરીના આધારે માર્કિંગ અપાયા છે અને જે પોલીસ સ્ટેશન, તાલુકા મથકના પોલીસ કચેરીઓ અને પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, ડીટેકશન બ્રાન્ચ, પ્રોહીબીશન બ્રાન્ચ, લેન્ડ ગ્રેબીંગ સહિતના કેસો સંભાળતી શાખાઓ આ તમામમાં હવે જેમની કામગીરી અત્યંત નબળી જણાઈ છે ત્યાં નો-રિપીટ થિયરી એટલે કે રાઈટરથી લઇને પીએસઆઈ અને પીઆઈ સુધીના અધિકારીઓને બદલાશે અને જરુર પડે તપાસનું સુપરવીઝન કરતાં ડીવાયએસપી અને એસીપી સુધીના અધિકારીઓને પણ બદલી નખાશે અને ફક્ત બદલીએ અંતિમ પગલુ નહીં હોય પરંતુ આ રાજ્યભરમાં હવે પોલીસ કામગીરી માટે એક ખાસ મોનીટરીંગ ગોઠવાઈ રહ્યું છે અને તે અવારનવાર પોલીસ સ્ટેશનો અને છેક જિલ્લા સુધીની કામગીરીની સમીક્ષા કરશે તથા તેમાં પરિણામલક્ષી સુધારા થશે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ આ પગલાથી પોલીસ બેડામાં મોટો ફેરફાર થશે અને એક વખત તે અમલી બની ગયા બાદ પણ તે નિમણુંક અંતિમ નહીં હોય તે પણ નિશ્ચિત કરાશે. સરકારના આ નિર્ણયનો સંકેત મળતા જ પોલીસ બેડામાં જબરી હિલચાલ શરુ થઇ ગઇ છે. સ્થાનિક કક્ષાએ મજબૂત સંબંધ ધરાવતા લોકલ માફીયા અને ગુંડાઓને આ પ્રકારની પ્રક્રિયાથી જ નાથી શકાશે તે નિશ્ચિત થઇ રહ્યું છે.





Total Users : 107
Total views : 206
Who's Online : 0