
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડકપણે અમલ કરવામાં આવતો હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં દારુબંધીનો મુદ્દો ફરી એક વખત ઊંચકાયો છે. અમદાવાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ધાટન સમયે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ઠંડીમાં જમવાની સાથે અન્ય વ્યવસ્થા થઇ શકે તેમ નથી. ઠંડી બહુ છે પણ ગુજરાતમાં મનાઈ છે.
સમયની સાથે બદલાવ આવશે તો એમાં પણ બદલાવ થશે. આટલું જ નહીં ભરતસિંહ સોલંકીએ દારૂબંધીની નીતિને લઇને એવું પણ કહ્યું હતું કે, ગુજરાતની મહિલાઓ મંજૂરી આપે તો દારૂબંધી હટાવવી જોઈએ. ત્યારે આ બાબતે કોંગ્રેસના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પણ નિવેદન આપ્યું હતું.
વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો અમલ છે. આપણે બધા જાણીએ છીએ કે, કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી થયા પછી આ વિસ્તારને સંકલિત વિસ્તાર જાહેર કરીને બહારના માણસો જે પ્રવાસે આવે છે તેમને આકર્ષવા માટે સરકાર કંઇક વિચારણા કરી રહી છે. ભરતસિહ સોલંકીનું મંતવ્ય તેમનું પોતાનું છે. પણ આ ગુજરાતમાં ક્ષત્રીય સમાજમાં, આદિવાસી સમાજમાં, બક્ષીપંચ સમાજમાં દારુના કારણે જે અધોગતિ થઇ છે તે અધોગતિ ન થાય તે માટે ગુજરાતની જનતા અને ગુજરાતની માતાઓ અને બહેનો જ્યાં સુધી આ નહીં સ્વીકારે ત્યાં સુધી ગુજરાતમાં દારૂબંધી ચાલુ રહેશે, ચાલુ રહેશે, ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રસના નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે દારુ વેચાતો હોય, સરકારના ઓથા નીચે જ દારુ વેચાતો હોય, તેમના મળતિયાઓની નજીક જ વેચાતો હોય અને તે પૈસાનો લાભ તેમના મળતિયા અને બુટલેગર લઇ જતા હોય તેને બદલે ગુજરાતની સરકારમાં આ પૈસા જમા થાય. પણ આ માટેનો નિર્ણય ગુજરાતની પ્રજા કરે. ગુજરાતની પ્રજા જો આ પ્રકારનો નિર્ણય કરે તો મને લાગે છે કે, શિયાળાની ઠંડીમાં બધાને ગમે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગાંધીજીનું ગુજરાત છે. એટલે આ બાબતનો નિર્ણય ગુજરાતની પ્રજા અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓ કરે અને મહિલાઓ મંજૂરી આપે તો દારુબંધી હટાવવી જોઈએ. ત્યારે ગુજરાતમાં દારૂબંધીને લઇને ફરી એક વખત રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અગાઉ શંકરસિંહ વાઘેલા પણ સરકારની સામે દારૂબંધી હટાવવા બાબતે નિવેદન કરી ચૂક્યા છે.





Total Users : 113
Total views : 214
Who's Online : 0