
અહેવાલ – રીતેશ પરમાર
અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં ઉતરાયણના તહેવારને લઈ સ્થાનિક લોકો પોતાના ધાબા ઉપર જઈ પતંગ ચગાવી તહેવારનો આનંદ માણી રહ્યા હતા. તે દરમ્યાન સ્ત્રીઓ અને બાળકીઓ પણ ધાબા ઉપર પતંગ ચગાવી ઉજવણી કરતા હોય છે. ત્યારે આજરોજ છારાનગર ખાતે આવેલ માચીસ ગલીમાં રહેતા પ્રિયંકા બહેન જય કુમાર ગારંગે નામની મહિલા પોતાના પતિ અને બાળકો સાથે પોતાના ધાબા ઉપર પતંગ ચગાવી રહ્યા હતા. તે દરમ્યાન તેમના સામે રહેતા પાડોશીના ધાબા ઉપર કેટલાક અસામાજિક તત્વો દારૂ પીને બિભત્સ ગાળો બોલી રહ્યા હતા. જેથી પ્રિયંકા બહેને કહ્યું કે ભાઈ તમને ખબર નથી પડતી કે લેડીઝ અને નાની બાળકીઓ સામે તમે ગંદી ગાળો બોલી રહ્યા છો, તેમજ ખુબજ બેફાટ શબ્દો કે જે સભ્ય સમાજને ના શોભે તેવા અપશબ્દો બોલી રહ્યા છો, તમને શરમ નથી આવતી. આવી ભાષાનો ઉપયોગ અહીંયા નહી કરશો, અમારા નાના બાળકો ગભરાઈ રહ્યા છે અને એમની માનસિકતા ઉપર ખોટી અસર કરશે. આટલુ સાંભળીને પાંચ થી સાત જેટલાં લુખ્ખા તત્વોએ પ્રિયંકા બહેન અને તેમના પતિને ખુબજ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલુંજ નહી પણ ધાબા પર પડેલી લોખંડની જાળી પ્રિયંકા બહેન ઉપર ફેંકીને મારી હતી. પરંતુ સદનસીબે તે જાળી પ્રિયંકા બહેન કે તેમના બાળકો ઉપર ન પડતા તેમનો જીવ બચી ગયો હતો. પરંતુ ત્યારબાદ આ લુખ્ખા તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અને તેઓ જતા જતા ધમકી આપીને ગયા કે તમને છોડીશુ નહી, તમે અમને નથી ઓળખતા કે અમે કોના માણસો છીએ. અને વારંવાર એક રાજકીય સ્થાનિક નેતાનું નામ લઈ પ્રિયંકા બહેનના પરિવારને ધમકી આપી ફરી પાછા આવી ધમાલ મચાવીશુ તેવું કહીને ત્યાંથી ચાલ્યા ગયા હતા.
અગાઉ પણ એક સ્થાનિક યુવાનને છરીઓના અસંખ્ય ઘા મારી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો..
આ સમગ્ર મામલે હાલ સરદારનગર પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. ત્યારે વધુ મળતી માહિતી અનુસાર અગાઉ પણ ભાર્ગવ વિસ્તાર તેમજ મેઘાણીનગરથી આવતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા છારાનગરમા મધરાત્રીએ જુગાર રમવા બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવકને છરીઓ મારી જીવલેણ હુમલો કર્યો હતો. એ ઘટનામાં ઘાયલ યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવની ફરિયાદ અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી. તેમ છતાં સરદારનગર પોલીસની નિષ્ક્રિય કામગીરી અને ગુનેગારો ઉપર ઢીલી પકડના લીધે આવા લુખ્ખા અને અસામાજિક તત્વો બેફામ બની છારાનગર વિસ્તારમાં ખુલ્લેઆમ તલવારો, બેઝબોલના ડંડાઓ, તેમજ છરીઓ અને તિક્ષણ હથિયારોના જોરે આખા કુબેરનગર વિસ્તારમાં અરાજકતા ફેલાવતા નજરે પડી રહ્યા છે. સરદારનગર પોલીસને અવારનવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં પોલીસ આવા ગુનેગારોને કેમ ડામતી નથી તે વિચારવા જેવો પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે એક સ્થાનિક સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે કે મેઘાણીનગર ખાતેના કોઈ રાજકીય નેતાના નામ થી ધાક ધમકીઓ આપી છારાનગર વિસ્તારમાં નિર્દોષ લોકોને જાન થી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. જેથી સ્થાનિક પોલીસે તે દિશામાં પણ તપાસ કરવી જરૂરી છે.
અમદાવાદના બાપુનગર, નિકોલ, રામોલ, અને નરોડામાં લુખ્ખા તત્વોના વરઘોડા કાઢી પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો હતો..
અગાઉ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં નિર્દોષ લોકો સાથે મારામારી કરી તેમજ તલવારો ધારિયાઓ અને દંડાઓ દ્વારા જાહેર સરકારી મિલકત તેમજ સોસાયટીઓ માં પાર્ક કરેલા વાહનોને નુકશાન પહોંચાડનાર અસામાજિક તત્વોને અમદાવાદ પોલીસે માર મારીને ઘૂંટણીએ લાવી દીધા હતા. તેમજ ફરી વખત કોઈ નિર્દોષ લોકોમાં ગુંડાઓ અને લુખ્ખા તત્વોનો કોઈ ભય ના બેસે તે માટે થઈ સ્થાનિક પોલીસે આવા અસામાજિક તત્વોના વરઘોડા કાઢી દાખલો બેસાડ્યો હતો. હવે જોવાનું રહ્યું કે સરદારનગર વિસ્તારના છારાનગર ખાતે રહેતા એક મહિલા અને તેમના પરિવાર સાથે લુખ્ખા તત્વો દ્વારા કરેલ પથ્થરમારો તેમજ અશોભનીય કરતૂત માટે સરદારનગર પોલીસ કેવી રીતની કાર્યવાહી હાથ ધરશે.