અહેવાલ -રીતેશ પરમાર
વડોદરાઃ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલી વાહનચોરીની ફરિયાદમાં ભાવનગરના કોમ્પ્યુટર એન્જિનિયરને કારમાં ઉઠાવી લાવીને ચાર દિવસ સુધી ઢોર માર મારવાના બનાવમાં વડોદરા કોર્ટે વડોદરાના તત્કાલીન DSPઅને હાલમાં વલસાડ S.P. તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ વાઘેલા, માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ બી.એસ.શેલાણા, હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઇ શનાભાઇ, અમરદિપસિંહ ચૌહાણ, મેહુલદાન ગઢવી સામે ફોજદારી ગુનો નોંધવા માટે આદેશ કર્યો છે.
કોર્ટના આદેશના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 4 કર્મી સામે સમન્સ ઈશ્યુ કરવામાં આવશે. આરોપીઓમાં માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ શેલાણા, હેડ કોન્સ્ટેબલ. ઠાકોરભાઇ, અમરદિપસિંહ ચૌહાણ, મેહુલદાન ગઢવીનો સમાવેશ થાય છે.
ભાવનગરમાં કોમ્પ્યુટરની દુકાન ધરાવતા કોમ્પ્યુટર એન્જિનિયર આશીષકુમાર લાલજીભાઇ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ આપી હતી કે 29 નવેમ્બર 2020ના રોજ સવારે 10 વાગ્યાના અરસામા ભાવનગર ખાતે મારી દુકાનમાં કાળા કલરની ક્રેટા કારમાં પી.એસ.આઇ.શેલાણા સહિતના પાંચ લોકો આવ્યા હતા. મને દુકાનમાં જ ઢોર માર મારી ખેંચીને કારમાં લઇ ગયા હતા. મારી દુકાનથી તેઓ ભાવનગર સ્થાનિક પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અહી પણ કારમાં મને માર મારવામાં આવ્યો હતો. મારા પિતાને પણ ગાળો આપી હતી.